રાજકારણમાં ચર્ચાનો વિષય: દિલ્હી જવા નીતીશ કુમાર અને તેજસ્વી યાદવ ફ્લાઈટમાં આગળ-પાછળની સીટમાં બેઠા, નીતીશનો હસતો ચેહરો જોવા મળ્યો
![top-news](https://gujaratvandan.com/public/uploads/images/newsimages/GujaratVandan05062024_054334_Nitish kumar and Tejashvi.webp)
- 05 Jun, 2024
બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમાર આજે બુધવારે દિલ્હી જવા રવાના થયા છે. દિલ્હીમાં આજે એનડીએની બેઠક થવાની છે. તેઓ તેમાં ભાગ લેશે. સીએમ નીતીશ કુમાર જે ફ્લાઈટથી દિલ્હી જશે તેમાં વિરોધ પક્ષના નેતા તેજસ્વી યાદવ પણ છે. સવારે 10.45ની ફ્લાઈટ છે.
બંને નેતાઓ એક જ ફ્લાઈટમાં હોવાના કારણે રાજકાણ ગરમાયું છે. લોકસભા ચૂંટણીના પરિણામો સામે આવ્યા પછી સરકાર બનાવતા પહેલા આજે દિલ્હીમાં એનડીએની બેઠક થવાની છે. નરેન્દ્ર મોદી ત્રીજી વખત વડાપ્રધાન બનશે. આ બેઠકમાં સામેલ થવા માટે એનડીએ સાથે જોડાયેલા તમામ પક્ષોને દિલ્હી બોલાવવામાં આવ્યા છે. બિહારના મુખ્યમંત્રી ચિરાગ પાસવાન, જીતન રામ માંજીને પણ દિલ્હીમાં બોલાવવામાં આવ્યા છે. તેઓ પણ બેઠકમાં સામેલ થશે. ચૂંટણીના પરિણામો આવ્યા પછી આજનો દિવસ ખૂબ જ મહત્વનો છે.
ઉલ્લેખનીય છે કે 2024ની લોકસભા ચૂંટણીના પરિણામો મંગળવારે આવ્યા હતા. ત્યારે એવી વાત બહાર આવી કે કોંગ્રેસના નેતૃત્વ સીએમ નીતીશ કુમારના સંપર્કમાં છે. એનડીએના ઘટક દળો સાથે કોંગ્રેસે સંપર્ક કરવાનું શરૂ કર્યું છે. તે પછીથી આરજેડીના સાંસદ મનોજ ઝાએ પણ એમ કહ્યું હતું કે નીતીશ કુમારે જ ઈન્ડિયા ગઠબંધનની સ્થાપના કરી હતી. એવામાં તેજસ્વી યાદવ અને નીતીશ કુમાર એક જ સાથે ફ્લાઈટમાં જઈ રહ્યાં હોઈ રાજકારણ ગરમાયું છે.
બિહારમાં એનડીએને 30 સીટો પર વિજય પ્રાપ્ત થયો છે. બીજી તરફ ઈન્ડિયા ગઠબંધનની વાત કરવામાં આવે તો તે નવ સીટો પર જીત્યું છે. પૂર્ણિયાથી પપ્પૂ યાદવને અપેક્ષ ઉમેદવાર તરીકે જીત પ્રાપ્ત થઈ છે. દિલ્હીમાં ઈન્ડિયા ગઠબંધનની પણ બેઠક થવાની છે. એમ કહેવાઈ રહ્યું છે કે તેમાં તેજસ્વી યાદવ પણ સામેલ થશે.